એક સાંજે, સ્વાધ્યાય પછી, પરમ પૂજ્ય ભાઇશ્રીના નિવાસસ્થાને થોડા મુમુક્ષુઓ આવેલા. ત્યારે ધોબીભાઈ કપડાં આપી ગયા. પરમ પૂજ્ય ભાઇશ્રીએ એ કપડાને અલગ પાડ્યા અને પોતાના કબાટમાં સુઘડતાથી ગોઠવી દીધા. પછી, જે કાગળમાં લપેટાઈને એ કપડાં આવ્યા હતા તેની ચીવટતાથી ઘડી કરી. ત્યાર પછી તેમનું ધ્યાન જેનાથી કપડાં બાંધ્યા હતા એ દોરા પર કેન્દ્રિત કર્યું. એ દોરામાં ઘણી વધારે ગૂંચ પડી ગયેલી. એમની ખૂબ જ સહજ એવી લાક્ષણિક ધીરજથી અને શાંતિથી પરમ પૂજ્ય ભાઇશ્રી એક પછી એક ગૂંચને કોઈ પણ પ્રકારની ઉતાવળ વગર ઉકેલી રહ્યા હતા. એક યુવા મુમુક્ષુ, કે જે આ બધુંય નિહાળી રહી હતી, તેણે પરમ પૂજ્ય ભાઇશ્રીને આ કાર્ય પોતાને સોંપવાની વિનંતી કરી. પરમ પૂજ્ય ભાઈશ્રીએ, એની વિનંતીને સ્વીકારીને, એને દોરી તૂટે નહિ એ રીતે ઘણી ધીરજથી, ચીવટતાપૂર્વક કરવાની સૂચના આપી.
આપણા પૂર્વકર્મોના પરિણામના કારણે આપણા ધૈર્ય ગુણની કસોટી સતત થતી હોય છે. પણ પ્રત્યક્ષ સાક્ષાત અખૂટ ધીરજના સ્વામી એવા પરમ પૂજ્ય ભાઇશ્રીને અવલોકી-અવલોકીને આપણને એ દ્રઢ થાય છે કે એમની પવિત્ર કલ્યાણકારી નિશ્રામાં આપણે પણ એમના ગુણોને ચોક્કસ આત્મસાત કરી શકીશું.
"જ્ઞાનીને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ." એમના જેવા બનવા માટે નીચેના થોડાં મુદ્દાઓ વિચારીએ.
૧) વર્તમાનમાં જ જીવવું ~ "વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાંય".
ચાલો આપણે આપણા દરેક કાર્યમાં અને દરેક વિચારમાં ધીરગંભીરતા કેળવીને વર્તમાનમાં આપણું જે કાર્ય ચાલુ છે તેમાં જ હાજર રહીએ. વિવેકથી વિચારીને દરેક કાર્ય કરીએ. આપણા મનને ભૂતકાળના તણાવોથી અને ભવિષ્યની ચિંતાથી રહિત બનાવીએ, કેમ કે હરહંમેશ અત્યારની જ ક્ષણ આપણા હાથમાં હોય છે. ભૂતકાળ વીતી ચૂક્યો છે અને ભવિષ્ય આપણને ચક્ષુગોચર નથી. માટે જ પરમ પૂજ્ય ભાઈશ્રી આપણને વર્તમાનની એક એક ક્ષણનો સદુપયોગ કરવાનું વારંવાર બોધે છે.
૨) ધ્યાન
ધ્યાન આપણને નિ:સ્પૃહ, અનાસક્ત બનવાની સમર્થતા આપે છે, આપણી દ્રષ્ટિને વિરક્તતા આપે છે. દુન્યવી જોડાણોની આપણા મન ઉપરની પકડને ઢીલી પાડતા જઈને ધ્યાન આપણને શુદ્ધ, નિર્મળ, શાશ્વત આનંદના મૂળ સ્ત્રોત સુધી પહોંચાડે છે. નકારાત્મક અને હાનિકારક વિચારો આપણા મનમાં ઉઠે ત્યારે કોઈ પણ પ્રતિભાવ આપ્યા વગર આપણે ફક્ત એના જોનાર બનીએ, જાણનાર રહીએ, અસંગ રહીએ તો એને વિદાય થવું જ પડશે. સાધકે પોતાના લક્ષને, પોતાની એકાગ્રતાને, પોતાના ધ્યેયને પરમાત્મા સાથે ઐક્યભાવ સાધવામાં જ લગાવીને ધ્યાન કરવું જરૂરી છે. પસાર થતી દરેક ક્ષણના સાક્ષીમાત્ર રહેવું એ જ એની ચાવી છે.
૩) શાંત સ્વીકારની ભાવના
અનાદિકાળથી, અનંતાનંત કર્મોના જથ્થાથી આપણો આત્મા આવરિત છે. જે કંઈ પણ આપણા જીવનમાં બની રહ્યું છે, તે આ સંચિત કર્મોનો ઉદય જ છે. તે ઉદય ઉપર આપણો કોઈ અંકુશ શક્ય જ નથી ત્યારે તેનાથી વ્યથિત થવું, મૂંઝાવું, ઉદ્વેગ-ઉચાટ કરવો એમાં કોઈ સાર્થકતા નથી. તેથી કષાયજનિત પરિણામોમાં શક્તિનો વ્યય ન કરતા, તેનો શાંત સ્વીકાર કરવાથી મનમાં શાંતિ વેદાય છે, હૈયામાં આનંદ ઉભરાય છે અને નવા કર્મનું બંધન નિવારી શકાય છે. પરિસ્થિતિને સામેની વ્યક્તિની નજરે જોવાનો પ્રયત્ન, આપણા મનને નકારાત્મક વિચારોથી પાછું વાળે છે. વાંસળી જેવા પોલા બનવાની આત્મકળા જીવનમાં વણાઈ જાય તો એક દિવ્ય સંગીત આપણા અંતરના અણુ~અણુમાંથી રેલાશે.
૪) શ્રદ્ધા
આપણું જીવન એક સુદીર્ઘ પ્રવાસ છે. કસોટીના કાળ દરમિયાન આપણે વ્યગ્ર બની જઈએ ત્યારે આ ભાવનાથી આપણી જાતને રંગવાની છે - "હે પ્રભુ, તે બધાં સંજોગો મારા કલ્યાણ માટે જ સર્જ્યા છે અને તું હંમેશા મારી સાથે જ છો એની મને પૂર્ણ શ્રદ્ધા છે." એમની દિવ્ય ઉપસ્થિતિ, પ્રેમ અને કરુણા આપણી સમસ્યાઓનો યોગ્ય પ્રતિસાદ આપવા માટે પ્રેરણાબળ બનશે. ભગવાનના અનંત, અખૂટ, અપાર પ્રેરણાબળ સામે આપણી સમસ્યાઓની શક્તિ તૃણવત છે.
૫) જતું કરો
જે સંજોગોમાં બદલાવ લાવવો શક્ય જ નથી તેને સ્વીકારી લેવા. આપણા અંકુશમાં ન હોય એવી ઘણી પરિસ્થિતિ આપણા જીવનમાં ઉદ્ભવતી હોય છે, ત્યારે તેને જેમ છે તેમ સ્વીકારી લેવા એ જ ઉત્તમ કૂંચી છે. જયારે આપણે જતું કરીએ છીએ ત્યારે આપણે સ્થિર, નિશ્ચળ બનીએ છીએ અને આપણું પ્રક્ષુબ્ધ મન સ્થિર થાય છે, સાચી શાંતિમાં ઠરી જાય છે.
૬) કઠણાઈની જિજ્ઞાસા કરવી, રુચિ રાખવી
કઠણાઈનો વિકલ્પ પસંદ કરવાથી આપણી સહનશીલતામાં વૃદ્ધિ થાય છે. સામાન્ય રીતે જયારે આપણામાં સુસ્તી વર્તાતી હોય ત્યારે આપણને વિશ્રાંતિ લેવાની ઈચ્છા થાય છે. પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે કે ત્યારે તો 'આપણે વધુ કામ કરવું જરૂરી છે'. આપણા શરીર પાસેથી આપણે જેટલા વધુ કામ લઇ શકીએ તેટલું લેવું અગત્યનું છે.
ખ્રિસ્તી ધર્મશાસ્ત્રી "લેવિસ સ્મેદેસ"નું એક અવતરણ અંતમાં ટાંકીએ કે જેના ઉપર વિચાર કરીને એને અમલમાં મૂકવું આવશ્યક છે: "કોઈના માટે સાચા હૃદયની ક્ષમા આપણામાં ત્યારે જ ઉદ્ભવે છે કે જયારે આપણે તે વ્યક્તિ જેવી હોય તેવી જ તેને સ્વીકારીએ છીએ".