આપણે સહુ આંતરિક પરિવર્તન ઇચ્છીએ છીએ. એવું પરિવર્તન કે જે રૂપાંતરિત કરી દે. વ્યક્તિ મૂળથી બદલાઈ જાય. આંતરિક પરિવર્તન કે જે અંતરના ઊંડાણમાંથી પ્રગટ થાય. આત્માનો સાક્ષાત્ અનુભવ થાય. અત્યાર સુધી દેહભાવે જીવતા હતા પણ હવે આત્મભાવે જીવવા લાગીએ. ઘેટાંનાં ટોળામાં રહેલા સિંહના બચ્ચાંને સમજાઈ ગયું કે હું ઘેટું નહીં પણ સિંહ છું. તેણે ગર્જના કરી અને ત્યાર બાદ સિંહ બની જીવવા લાગ્યો.
મેળવણ ઉમેરતાં દૂધ દહીં બની જાય, જે કેરી કાચી હતી, રંગ જેનો લીલો હતો અને સ્વાદમાં અતિશય ખાટી હતી પણ તે જ્યારે પાકી ગઈ, ત્યારે તેનો રંગ કેસરી થઈ ગયો અને સ્વાદમાં ખૂબ મીઠી બની ગઈ, એક નાનું બીજ હતું પણ સમય જતાં તે વટવૃક્ષ બની ગયું, એક નાનું બાળક જે કોઈનું સંતાન હતું તે આજે ખુદ એક વૃધ્ધ દાદાજી બની ગયો. આ બદલાવ એવો છે કે હવે તે ઇચ્છે તો પણ તેનું પહેલાંનું સ્વરૂપ ધારણ ન કરી શકે, કારણ તે સંપૂર્ણ બદલાઈ ગયું, રૂપાંતરિત થઈ ગયું. આને આપણે રૂપાંતરિત ને બદલે પર્યાયાંતરિત એમ ગણવું વધારે ઉચિત છે. કારણ જે બદલાયું, તે સમયના વહેણ સાથે હજુ બદલાતું રહેવાનું. અંતે સંયોગથી જેનું સર્જન છે તે સંયોગી દ્રવ્યો છૂટાં પડતાં તેનું વિસર્જન નિશ્ચિત છે જ. આપણે એવો બદલાવ ઈચ્છીએ છીએ, જે શાશ્વત હોય, આવ્યા બાદ સદાકાળ સુખને આપનારો હોય, તેને જ આપણે ખરા અર્થમાં રૂપાંતરિત થયાની માન્યતા આપીશું. આવા આંતરિક પરિવર્તનની ઊંડી વિચારણા કરતા પહેલાં આપણા ભૂતકાળ અને વર્તમાન જીવન વિશે વિચાર કરી લઈએ.
અનંતકાળથી જીવ જન્મમરણ કરી રહ્યો છે. અનંત દુઃખ તેણે ભોગવ્યું છે. નરક - નિગોદમાં તેણે અતિશય પીડા સહન કરી છે. એક પળમાં તે અનેકવાર મર્યો છે. ચીરાયો, કપાયો, કુટાયો, ઘાણીમાં પીલાયો, તેલમાં તળાયો, અગ્નિમાં શેકાયો, ગરમ પાણીમાં બફાયો, કતલખાને હણાયો, તેની ક્રૂર હત્યા અનંત વાર થઈ છે. કર્મ અનુસાર સૂક્ષ્મ-બાદર, સ્થાવર કે ત્રસ એકેંદ્રિય થી પંચેંદ્રિય જીવ તરીકે અલગ અલગ શરીરોમાં તે પૂરાયેલો રહ્યો અને અપાર વેદના તેણે ભોગવી છે. દુઃખભર્યું આશ્ચર્ય છે કે જે શરીર ધારણ કરવાથી આવું અરેરાટી ઊપજાવે એવું દુઃખ તેણે ભોગવ્યું તે દેહ સાથે હજુ પણ અત્યંત મોહભાવે તે જોડાયેલો છે. આ દેહ પાંજરું છે અને હું આત્મા તેમાં પૂરાયેલો છું એવું લેશ એને લાગતું નથી. કેવી દયાજનક પરિસ્થિતિ?
ઊંઘમાંથી જગાડી કોઈ પૂછે કે તું કોણ છે? તો આપણે તુરંત જવાબ આપીશું કે હું આત્મા છું, છતાં આપણે આત્માને બદલે દેહને જ કેન્દ્રમાં રાખીને જીવીએ છીએ. આપણી માન્યતાને અનુસરતું જીવન જીવવામાં સફળ નથી થયા. મોહ અને મિથ્યાત્વનું સામ્રાજ્ય અનાદિકાળનું છે. તેની પકડમાંથી જીવ છૂટી શકયો નથી. પૂર્વના જન્મો યાદ નથી, તે તાદ્રશ્ય દેખાતા નથી અને ન તો દ્રવ્ય બંધના સમયે જે કર્મના રજકણો આવીને આત્માને આવરી લે છે તે દેખાય છે. જો આ બન્ને જોઈ શકાત તો આપણું જીવન વલણ જુદું જ હોત. નથી દેખાતું એ ઉપાધિ છે પણ કર્મવિપાકનું ફળ તો આપણે પળે પળે વેદી રહ્યા છીએ. જાગૃત થવા માટે તે કંઈ ઓછું છે?
શું આપણે એક ક્રાંતિકારી પરિવર્તન લાવવા ઇચ્છીએ છીએ ખરાં? મૂળથી રૂપાંતરિત થઈ અંતરના પરમ સત્યને પામી તે સત્યમાં રહીને જીવન જીવવું છે? પૂર્વે બાંધેલાં કર્મોને સમભાવે ભોગવી લઈને મુક્ત થવું છે? હું કોણ છું? આટઆટલું દુઃખ હું શું કામ ભોગવી રહ્યો છું? હું ક્યાંથી આવ્યો અને હવે પછી ક્યાં જઈશ?
શું આવા પ્રશ્નો અંતરમાં થાય છે? શાંત ચિત્તે તે પ્રશ્નોના જવાબ મેળવવાની કોશિષ કરી છે?
આ બ્રહ્માંડમાં એક નાના ટપકાં જેટલું જ ભલે મારું અસ્તિત્વ હોય, પણ હું જાણું છું કે મારો આત્મા અપાર શક્તિઓનો સ્વામી છે, સૂર્ય, ચંદ્ર અને તારા કરતાં પણ વિશેષ એ તેજ પૂંજ છે. તેના જ્ઞાનમાં આખુંય બ્રહ્માંડ સમાઈ જાય છે. ધરબાયેલી તે શક્તિને માત્ર ઉજાગર કરવાની છે. તે જ્ઞાનશક્તિનો સદ્ઉપયોગ કરીને હું નવા કર્મોથી મારા આત્માને બચાવી લઇશ અને આ જ ભવે જીવનમુક્ત દશા પ્રાપ્ત કરી અખંડ સમાધિમાં સ્થિર થઈશ. દેહનો વિલય થાય, એટલે કે નવું શરીર ધારણ ન કરવું પડે અને હું અયોગી સિદ્ધસ્વરુપી અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રની રત્નત્રય અભેદતામાં શાશ્વત બની રહું એ જ સાચું રૂપાંતરિતપણું છે.
આ ભવે, હું શરીરમાં રહેવા છતાં આત્મામાં જીવીશ, અંતર જાગૃતિના જ્ઞાન પ્રકાશમાં મોહનીય કર્મને છેદતો રહીશ. હું આ મનોરથ કઈ રીતે પૂરો કરીશ?