બોધદુર્લભ ભાવના
દુર્લભબોધિ એવા પંચમ કાળમાં સાચું જ્ઞાન કોને કહેવાય તેજ મોટા ભાગના મનુષ્યો જાણતા નથી માટે પ્રથમ સમ્યફજ્ઞાન શું છે તે જાણવું અગત્યનું છે.
ખાવું, પીવું, બેસવું, ચાલવું વગેરે બધી સાહજિક ક્રિયાઓ છે. આ ક્રિયાઓ થકી મનુષ્ય સ્વાવલંબી બને છે અને માટેજ બાળકનો જન્મ થાય ત્યારથીજ તે બધું શીખવા માંડે એવો ભાવ માતા પિતા તેમજ અન્ય કુટુંબીજનને હોય છે.
દરેક બાળકમાં ગ્રહણ કરવાની નૈસર્ગિક શક્તિ રહેલી છે. જેમ જેમ તે મોટું થાય, તેમ તેમ આ જગતને તે જાણતું અને સમજતું થાય છે. શાળાનો અભ્યાસ તેને વ્યવસ્થિત રીતે વિવિધ વિષયો શીખવાડે છે. વિવેકપૂર્ણ જીવન જીવવા માટે ભાષાજ્ઞાન, ગણિત, વિજ્ઞાન વગેરે ભણવાની જરૂરિયાત છે. આ ભૌતિક જ્ઞાન થકી વ્યાવહારિક જીવન ઉન્નત બને છે. દુર્ભાગ્યે, સારા મનુષ્ય બનવાને બદલે સારી નોકરી મળશે એવા લક્ષ્યે બાળકને ભણાવામાં આવે છે. ભણવું એ વાસ્તવમાં જ્ઞાન નથી, જ્ઞાન એ કંઈ જુદીજ વસ્તુ છે. પર પદાર્થોનું જ્ઞાન લેવું એ ખરેખર માત્ર માહિતી છે. પુસ્તકમાંથી વાંચેલું, કોઈનું સાંભળેલું અથવા પોતે જોવાથી કે બાહ્ય જીવનના અનુભવથી આપણે આ જગતને જાણીએ છીએ, તેની રીતભાત શીખી જીવન જીવીએ છીએ. તે જ્ઞાન એ વાસ્તવમાં જ્ઞાન નથી. જ્ઞાન એજ કે જે ભવ હેતુ નહિ પણ મોક્ષ માટેનો સેતુ બને.
“જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો” એ પદમાં પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જી લખે છે:
નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી;
નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી;
નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો;
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
તમામ આગમોને જાણતો, નવપૂર્વધારી વિદ્વાન હોય પણ જો આત્માને ન જાણ્યો તો બધું જાણવું નિષ્ફળ છે, નિરર્થક છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.
પ્રેમ, શાંતિ, પ્રસન્નતા, ક્ષમા સહનશીલતા અને સમભાવ જેવા ગુણ જેના દ્વારા પ્રગટ થાય તે સાચું જ્ઞાન. જ્ઞાન એ એક એવી અવસ્થા છે જેમાં શરીર પ્રત્યે આત્મબુધ્ધિ થતી નથી. જ્યાં જ્ઞાન છે ત્યાં દુઃખ મધ્યે પણ સુખનો અહેસાસ થાય છે. જ્ઞાન એ આત્માનો સહજ સ્વભાવ છે, દેહ, ઇન્દ્રિયો, મન એ તેના માધ્યમ છે. પોતાને એટલે કે આત્માને જાણવા માટે કોઈ ઇન્દ્રિયોની આવશ્ક્યતા નથી તે અતીન્દ્રિય જ્ઞાન છે. આ જ્ઞાન જયારે પૂર્ણ રૂપે ખીલે છે ત્યારે કોઈ પુસ્તકો વાંચવા પડતા નથી ત્રણે લોક અને ત્રણે કાળ આત્માના જ્ઞાનમાં સહજ જણાય છે. ખરેખર તે જ્ઞાનનો હેતુ અનંત સમાધિ સુખ છે, પણ આંતરિક નિર્મળતા એટલી અધિક છે કે આખુંએ બ્રહ્માંડ તે જ્ઞાનમાં સહજ સમાય જાય છે.
અનંતકાળનું જન્મમરણનું તીવ્રતમ દુઃખ એક માત્ર આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. તે જ્ઞાન ભવસમુદ્ર પાર કરાવી દે છે. આ જ્ઞાન દ્વારા અનેક ગુણો ઉત્તમ રીતે ખીલતા જાય છે અને પરમાર્થના પંથે તે આગળ વધારે છે. આ જ્ઞાનમાં સ્થાયિ નિવાસ કરતા અનંત કર્મોની નિર્જરા થાય છે. જ્ઞાનભાવમાં રહી, શુધ્ધ ચારિત્ર પાળી, અસંગ બની જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે.
એક શરીરમાં અગણિત જીવો અનંત કાળ સુધી નિગોદમાં રહી અત્યંત દુઃખ અનુભવતા રહે છે. એક આત્મા જ્યારે સિધ્ધ ગતિને વરે ત્યારે નિગોદમાંનો એક જીવ છૂટે છે. છૂટ્યા પછી જો તે જીવ સદબુધ્ધિપૂર્વક, પોતાનું કલ્યાણ વિચારીને જીવન જીવે તો અવશ્ય મોક્ષને પામે છે. આપણે અતિ ભાગ્યશાળી છીએ કે અનંત કાળના એ દુઃખમય કારાગૃહ માંથી છૂટી ગયા છીએ. અકામ નિર્જરા કરતા કરતા અસંખ્યાત કાળ વ્યતીત થયા બાદ એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. નિગોદથી મનુષ્યની આ દુઃખમય યાત્રા અનંત વાર આપણા આત્માએ કરી છે પણ અફસોસ કે સંસારચક્ર હજુ સુધી ફરતુંજ રહ્યું છે. આપણે સંકલ્પ કરીએ કે સદ્દગુરુ પાસેથી પ્રાપ્ત થયેલા યથાર્થ બોધને આપણે સૂક્ષ્મ રીતે વાગોળીશું, આપણી તમામ શક્તિઓને જોડીને ઉત્તમ પુરુષાર્થ કરીશું. યાદ રાખીએ કે મનુષ્ય ભવ તે મોક્ષ પ્રાપ્તિ માટેનું અમૂલ્ય સાધન છે. જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય ભવ મળતાં જ મોક્ષની અર્ધી યાત્રા તો પુરી થઇ ગઈ. હવે બાકીનો અર્ધો માર્ગ પૂરો કરવામાં પ્રમાદ શું કામ કરવો જોઈએ?
ભગવાન મહાવીરે પોતાની છેલ્લી દેશના, ઉત્તરાધ્યયન સૂત્રમાં 4 વસ્તુઓને ઉત્તરોત્તર અતિ દુર્લભ ગણાવી છે. મનુષ્ય ભવ, જિન ઉપદેશનું શ્રવણ, તે ઉપદેશ પરનું શ્રધ્ધાન અને ભગવાને આપેલા ઉપદેશનું જીવનમાં આચરણ. આ બોધિદુર્લભ કાળમાં ધર્મ પામવો સહેલો નથી પણ જેને પરમ કૃપાળુ દેવનું ધર્મ સાહિત્ય ભાઈશ્રી જેવા જ્ઞાનવંત ગુરુ પાસે સાંભળવા અને સમજવા મળ્યું હોય તેને તે અતિ દુર્લભ પણ સુલભ છે.
જે અતિ દુર્લભ છે તે પણ આપણે અનેક વખત પ્રાપ્ત કર્યું અને છતાંયે આપણે અહીં રાખડીએ છીએ. જન્મ અને મરણના અતિશય દુઃખ સહન કરીએ છીએ.
મોક્ષમાળાના ૬૭માં પાઠમાં અમૂલ્ય તત્વ વિચારના શીર્ષક હેઠળ પરમ કૃપાળુ દેવે એક એવા પદની રચના કરી કે જે પરમાર્થ માર્ગે પ્રવેશ કરવાનું નિમિત્ત બને છે. તેમાં તેઓ લખે છે.
બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો,
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો
બાહ્ય સુખની પ્રાપ્તિને અર્થે આવો મહામૂલો ભવ વેડફાય ગયો. લક્ષ્મી, અધિકાર, કુટુંબ પરિવાર વગેરે મેળળવા અને સાચવામાં આ ભવનો અંત આવી ગયો. આ બધામાં ભગવાનને ભુલ્યો તેથી ભવભ્રમણનો અંત ના આવ્યો.
એવી તે શું ભૂલ રહી ગઈ કે જેથી હોઠ સુધી પ્યાલો આવ્યો પણ અમૃત પીવાયું નહિ?
પોતાની મતિકલ્પનાએ ધર્મ કર્યો, સદ્દગુરુને શોધ્યા નહિ તેની આજ્ઞાઓને અપૂર્વ રુચિ સાથે પાળી નહિ જો પાળી હોત તો સમ્યફજ્ઞાન, દર્શન અને ચારિત્રની અભેદ અવસ્થાને પ્રાપ્ત કરી આ સંસાર અને તેના તાપથી મુક્ત થઇ ગયો હોત.
સ્વછંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ
સમકિત તેને ભાખીયું કારણ ગણી પ્રત્યક્ષ
જૈન પૂર્વાચાર્યોએ અનેક ધર્મગ્રંથો રચેલા છે. પ્રાચીન ગ્રંથો અને થોડા આગમો અત્યારે સચવાયેલા નથી છતાં જે છે તે ઘણું છે. આગમોનો સાર તેમાં પ્રાપ્ત થાય છે. મોક્ષનો માર્ગ તેમાં યથાર્થ રીતે આલેખાયો છે. તે ધર્મ ગ્રંથોની તાત્વિક સમજણ આપણે પોતે વાંચીને મેળવી શકીએ એમ નથી. તેની યથાર્થ સમજણ કોઈ આત્મજ્ઞાની ગુરુ પાસે મેળવવી જરૂરી છે. પરમ કૃપાળુ શ્રીમદ્જી કહે છે કે શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે પણ મર્મ તો સત્પુરુષના અંત:કરણમાં રહ્યો છે. એક વિશિષ્ઠ પ્રજ્ઞાના સહારે અને સથવારે આ ગ્રંથોનું નવનીત આપણે પામી શકીએ એમ છીએ.
પશ્ચિમના તત્વચિંતક બેર્ટ્રેન્ડ રસેલ, તેમના પુસ્તક “દેખાવ અને સત્ય” માં જણાવે છે કે, લંબચોરસ ટેબલને જયારે આપણે જોઈએ છીએ ત્યારે આપણી દ્રષ્ટિમાં તેની બીજી બાજુ નાની લાગે છે અને તે ખૂણાઓથી નાનું થતું જતું હોય એવું પણ ભાસે છે છતાંએ આપણે આપણા અનુભવથી તે ટેબલને લંબચોરસ જ માનીએ છીએ.
એક પ્રજ્વલિત દીવો અન્ય દીવાને પ્રદીપ્ત કરવાની શક્તિ ધરાવે છે. અનુભવી ગુરુ દ્વારા જીવ સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. દ્રશ્યને અદ્રશ્ય કરી, અદ્રશ્યને જેણે દ્રશ્ય કર્યું છે એવા આત્મઅનુભવી સત્પુરુષના જ્ઞાન વચનો દ્વારા મોહ અને મિથ્યાત્વ દૂર થાય છે. સદ્દગુરુના આશ્રયે રહેતા સાધકને આત્માનો લક્ષ થાય છે કારણ સદ્દગુરુ સ્વયં વિદેહી છે, દેહ છતાં દેહાતીત છે.
“મૂળ મારગ સાંભળો જિનનો રે” પદમાં તેમજ આ અવનીનું અમૃત એવી “આત્મસિધ્ધિમાં” પરમ કૃપાળુ દેવે ભગવાન મહાવીરે ભાખેલા મૂળ સનાતન આત્મધર્મની પ્રરુપણા કરી છે. મોક્ષના માર્ગે ચાલનારા પથિકોને તે અત્યંત ઉપકારી છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની સરળ વ્યાખ્યાઓ મૂળ મારગમાં આપી છે. સદગુરુનું માહાત્મ્ય, તેમના ગુણલક્ષણો, મતાર્થીપણુ, આત્માર્થીપણુ, આત્માના છ પદ તેમજ છ દર્શનની સમજણ, 3 પ્રકારના સમ્યગદર્શન જેવી અનેક બાબતો ગુરુશિષ્ય સંવાદની શૈલીથી આત્મસિધ્ધિમાં વણાયેલી છે.
સત્યને પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છા પ્રથમ જાગવી જોઈએ. દુઃખ જેને વેદાય તેજ દુઃખથી મુક્ત થવા ઈચ્છે છે. દર્દ હોય તો દવા માટે જીવ પુરુષાર્થ કરે છે. પરમ પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે કે, સાચી સમજણ હોય તો પુરુષાર્થ પણ સુવ્યવસ્થિત થાય. જેને આત્માનો સાક્ષાત્કાર થયો છે તેમની વાણી સતનું શ્રધ્ધાન કરાવવામાં સમર્થ બને છે અને સમ્યફજ્ઞાન અને શ્રધ્ધા બંને ભેગા થાય ત્યાં સનાતન આત્મધર્મ પાળવો મુશ્કેલ નથી. તેના આચરણમાં સતધર્મ વણાય જાય છે. માટે શ્રધ્ધા એ પરમ આવશ્યક તત્વ છે. તોજ જીવ સમર્પિત થઇ, પ્રમાદને દૂર કરી ખંતપૂર્વક મહેનત કરે છે.
બાળકોને કથાનુયોગ દ્વારા બોધ આપતા શ્રીમદ્જીએ કહ્યું: એક વાર બકરી અને ભેંસ બંને પાણી પીવા તળાવે ગયા. પાછા આવ્યા ત્યારે બકરીએ પાણી પી પોતાની તરસ છીપાવી હતી પણ ભેંસ તરસી ને તરસી રહી. કહો તેનું શું કારણ હશે? એમ શ્રીમદ્જીએ બાળકોને પ્રશ્ન કર્યો. જ્યારે કોઈએ જવાબ ન આપ્યો ત્યારે શ્રીમદ્જીએ રહસ્ય સમજાવતાં કહ્યું. તળાવના કિનારે ઉભા રહીને બકરીએ પાણી પી લીધું જ્યારે ભેંસ પોતાના ભારી શરીર સાથે સિધી તળાવની અંદર દાખલ થઇ. તળાવમાં નીચે રહેલી માટી તેના પગથી ખુંદાતા તે ઉપર આવી અને પાણી આખું ડહોળાય ગયું, જેથી ભેંસ તે પાણી પી ન શકી અને અતૃપ્ત પાછી ફરી. આવીજ રીતે પોતાને ચતુર સમજતો વ્યક્તિ જ્યારે જ્ઞાની પાસે જાય છે ત્યારે તેને કોઈ ફાયદો થતો નથી અને ઉલટો તે અન્યને નડતરરૂપ બને છે. જે લઘુતા ભાવે, વિનયપૂર્વક જ્ઞાની પાસે જાય છે તે આ બકરીની જેમ અધ્યાત્મનું જળ પીને પાવન થાય છે.
સાચો સાધક છે તે માત્ર જિજ્ઞાસુ નહિ પણ પિપાસુ હોવો જોઈએ. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે હૃદયમાં ઉત્કૃષ્ટ પૂજ્યભાવ ધારણ કરીને તે સાધના કરે છે. જીવન મૃત્યુની ઘટમાળ તેને અસહ્ય લાગે છે અને તેને તેમાંથી હવે છૂટવુંજ છે. ધર્મ અને ધંધો બન્નેમાં પગ રાખીને આત્મા નહિ પ્રાપ્ત થાય તે એ સ્પષ્ટ જાણે છે. તે હવે માત્ર મોક્ષનો જ અભિલાષી છે. સંસારમાં, તેને કોઈ રુચિ રહી નથી. કર્મ છોડવા છે અને નવા હવે નથીજ બાંધવા એવો દ્રઢ સંકલ્પ રાખી તે સદ્દગુરુ અનુગ્રહે સાધનાના પંથે ઉત્તમ પુરુષાર્થ કરે છે. શિષ્યની યોગ્યતા જોઈ સદગુરૂ બોધિબીજની પ્રાપ્તિ કરાવે છે. ધ્યાન સાધનાનો પુરુષાર્થ અવિરત ચાલુ થાય છે. જડ શરીર અને ચૈતન્ય આત્માનું ભેદજ્ઞાન કરી તે સાધક કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે મોહને દૂર કરતો જાય છે. અંતે શરીરમાં નહિ પણ આત્મામાં જીવતો થાય છે.
પરમ પૂજ્ય ભાઈશ્રી જેવા સમર્થ સદ્દગુરુ મળ્યા પછી હવે આપણે કોની રાહ જોઈએ છીએ? કેમ પ્રમાદમાં પડ્યા રહ્યા છીએ?
બોધિદુર્લભ કાળમાં આવા ઉત્તમ નિમિત્તો કોઈ મહાપુણ્યશાળીને જ મળે. અનંત જીવો નિગોદમાં હજુ દુઃખ અને પીડામાં ટળવળી રહ્યા છે. ત્યાંથી આપણે માંડ માંડ છૂટ્યા છીએ. શું મોહ અને પ્રમાદને વશ થઇ ફરી નિગોદમાં જવું છે? નથીજ જવું. મુક્તિ એ મારુ લક્ષ છે. ગુરુ આશ્રયે રહી, અહિંસા પરમો ધર્મને પાળી, હું મારું કલ્યાણ સાધીશ એ પ્રતિજ્ઞા છે. આ એક માત્ર છૂટવાનો મહામાર્ગ છે અને હું તે માર્ગે ચાલીને અવશ્ય છૂટીશ.